

શૌચાલયની સુવિધા મેળવનારાં ગામનાં એક બહેન સાથે ગ્રામસાથી નીલમબહેન પટેલ
તોયણી ગામમાં ઘેર-ઘેર શૌચાલયો નહોતાં એટલે ગામની બહેનોને શૌચ ક્રિયા માટે ખુલ્લી જગ્યામાં દૂર જવું પડતું અને અંધારું થવાની રાહ જોવી પડતી. શૌચ રોકી રાખવાથી આરોગ્યને લગતી સમસ્યાઓ થતી, ચોમાસામાં અંધારામાં કાદવ-કીચડમાં ચાલીને દૂર જવું પડતું તથા ઝેરી સાપ અને બીજા જીવજંતુઓ કરડી જવાનો ભય રહેતો. ગ્રામસાથી નીલમબહેને મક્કમ નિર્ધારથી આ સમસ્યાનો ઉકેલ લાવી બતાવ્યો છે. તેમણે પોતે આગેવાની લઈને ઘેર-ઘેર શૌચાલય બનાવવા માટે ગામના લોકોને તૈયાર કર્યા, એટલું જ નહીં, આ અંગે ગ્રામસભામાં હિંમતભેર રજૂઆત કરીને, ગામને આરોગ્ય અને સ્વચ્છતાના પંથે આગળ લઈ જવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. નીલમબહેનનાં સતત પ્રયત્નો, મક્કમતા અને ગ્રામ પ્રત્યેની નિષ્ઠાના પ્રતાપે 180 ઘરોમાં શૌચાલયો બની ગયાં છે. નીલમબહેને તે દરેક શૌચાલયનું બાંધકામ યોગ્ય રીતે થાય તેની ખાસ કાળજી લીધી છે. નીલમબહેનની આ સફળતા પાછળ તેમનો સંઘર્ષ અને જાગૃતિ કાબિલેદાદ છે.